હાલમાં ભારતના ઘણા સ્ટાર ક્રિકેટરો ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy 2024) માં જોવા મળી રહ્યા છે. આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ સ્ટાર્સ જેમ કે રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ રમી રહ્યા છે. જો કે, પોતાની હોમ ટીમ કેરળની કેપ્ટનશીપ કરનાર સંજુ સેમસન (Sanju Samson) વિજય હજારે ટ્રોફીમાંથી ગાયબ હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં, તેમને વિજય હજારે ટ્રોફી માટે કેરળની ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે. જો કે, સંજુએ તેમની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. તેમ છતાં કેરળ ક્રિકેટ એસોસિએશને (Kerala Cricket Association) હજુ સુધી તેમના વિશે કોઈ નિર્ણય લીધો નથી.
KCAએ સંજુ અંગે નથી લીધો કોઈ નિર્ણય
સંજુ સેમસને (Sanju Samson) તેમની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી હોવા છતાં, કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) એ હજુ સુધી તેમના વિશે કોઈ નિર્ણય લીધો નથી. સંજુ વિશે કેસીએએ કહ્યું, ‘સંજુ સેમસને અપડેટ આપ્યું છે કે તેઓ સિલેકશન માટે ઉપલબ્ધ છે. જો કે અમે ટીમમાં તેમના સમાવેશ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. કેરળની આખી ટીમ પહેલેથી જ મજબૂત છે અને અત્યાર સુધી માત્ર બે જ મેચ રમાઈ છે.’
આ બેદરકારીના કારણે ટીમથી બહાર થયો સેમસન
વિજય હજારે ટ્રોફી 2024 (Vijay Hazare Trophy 2024) માટે સંજુ સેમસન (Sanju Samson) ને કેરળની ટીમમાં સામેલ ન કરવાનું કારણ પણ સામે આવ્યું છે. તેનું કારણ સંજુની બેદરકારી હોવાનું માનવામાં આવે છે. વાસ્તવમાં, જ્યારે કેરળની ટીમ દ્વારા વિજય હજારે ટ્રોફીની તૈયારીઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સંજુ તેમાં સામેલ થયો નહોતો. આ અંગે KCAએ કહ્યું છે કે કેમ્પમાં સામેલ ન થવાને કારણે સંજુને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી.
સંજુ સેમસને કેપ્ટનશિપ પણ ગુમાવી
સંજુ સેમસન (Sanju Samson) અત્યારે શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં, તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પાંચ ઇનિંગ્સમાં લગભગ 150 ની સ્ટ્રાઇક રેટથી 136 રન બનાવ્યા હતા. આ પહેલા તેમણે સાઉથ આફ્રિકા સામેની ટી-20 સીરીઝમાં ધમાલ મચાવી હતી. પરંતુ સંજુએ વિજય હજારે ટ્રોફીમાં એક મોટી તક ગુમાવી દીધી. એક તો તેને ટીમમાં સ્થાન ન મળ્યું અને ઉપરથી તેમને કેપ્ટનશિપ પણ ગુમાવવી પડી. જો તેઓ કેરળની ટીમનો ભાગ હોત તો તેમને વિજય હજારે ટ્રોફીમાં કેરળનું નેતૃત્વ કરવાની તક મળી હોત.