કાનપુરમાં 150 વર્ષથી વધુ જૂનો ગંગા નદી પરના પુલનો એક ભાગ આજે સવારે ધરાશાયી થઈ ગયો. આઝાદીની લડતનો સાક્ષી રહેલો આ પુલ એક સમયે કાનપુરને લખનૌ સાથે જોડાવાનું કામ કરતો હતો. જો કે ચાર વર્ષ પહેલા જ આ પુલને કાનપુર વહીવટી તંત્રે અવરજવર માટે બંધ કરી દીધો હતો.
ગંગા પુલનું ઐતિહાસિક મહત્ત્વ છે, એટલા માટે મહાનગરપાલિકા તેની જાળવણી કરી રહ્યું હતું. આ પુલને હેરિટેજ તરીકે દર્શાવવા માટે તેના બ્યુટીફિકેશનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ મંગળવારે પુલનો એક ભાગ (લગભગ 80 ફૂટ) તૂટીને ગંગાના પાણીમાં સમાઈ ગયો.
આ ગંગા પુલની ખાસિયત હતી કે તેના ઉપરથી વાહનો ચાલતા હતા અને નીચેથી સાયકલ અને રાહદારીઓ પસાર થતા હતા. એવું કહેવાય છે કે અંગ્રેજોના સમયે કાનપુરથી લખનૌ જનારા લોકો માટે આ પુલ એકમાત્ર રસ્તો હતો. લોકો કાનપુરથી ઉન્નાવ થઈને જ લખનૌમાં પ્રવેશતા હતા. જો કે, તેના થાંભલાઓમાં પડેલી તિરાડોને કારણે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ પુલને જોખમી ગણીને PWD દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. શુક્લાગંજ અને કાનપુરના બંને છેડે દિવાલો ઉભી કરી દેવામાં આવી હતી. લોકોની અવરજવર બંધ હતી.
#WATCH | Kanpur, Uttar Pradesh | The Ganga Bridge which connects Kanpur to Unnao, built by the British, collapsed this morning.
The bridge corporation has closed this approximately 125-year-old bridge for a long time as it had been damaged already and agreed with the government… pic.twitter.com/HHW7Y7YEUk
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 26, 2024
સ્વતંત્રતા સંગ્રામનો સાક્ષી હતો આ પુલ
કાનપુરથી શુક્લાગંજ જવાના રસ્તામાં ગંગા નદી પર બનેલો બ્રિટિશ કાળનો આ બ્રિજ સ્વતંત્રતા સંગ્રામનો પણ સાક્ષી રહ્યો છે. એકવાર જ્યારે ક્રાંતિકારીઓ ગંગા પાર કરી રહ્યા હતા ત્યારે આ પુલ પરથી અંગ્રેજોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. થોડા વર્ષો પહેલા જ્યારે આ પુલ બંધ કરવામાં આવ્યો ત્યારે ઉન્નાવના શુક્લાગંજમાં રહેતા 10 લાખ લોકો પર આની ઘણી અસર થઈ. આને ચાલુ કરવા માટે ઉન્નાવના સાંસદથી લઈને અનેક ધારાસભ્યો અને મંત્રીઓએ મુખ્યમંત્રીથી લઈને વહીવટીતંત્ર સુધી દોડધામ કરી હતી. પરંતુ કાનપુર IITએ તેનું ચેકિંગ કર્યા પછી કહી દીધું હતું કે આ પુલ જર્જરિત છે, ચાલવા માટે યોગ્ય નથી અને ગમે ત્યારે તૂટી શકે છે.
જે બાદ જિલ્લા પ્રશાસને આ પુલને ચાલુ કરવાનો સંપૂર્ણ ઇનકાર કરી દીધો હતો. આજે એ જ વાત સાચી સાબિત થઈ, જ્યારે વહેલી સવારે ગંગા પુલનો મોટો ભાગ તૂટી પડ્યો. આ પુલ નીચે લોખંડનો બનેલો હતો જ્યારે ઉપર સિમેન્ટનો હતો. પોલીસનું કહેવું છે કે બ્રિજમાં વધુ તિરાડો છે, તેથી તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આની પર ચાલવા આવતા લોકોને પણ રોકી દેવામાં આવ્યા છે.
1875 માં થયું હતું આ પુલનું નિર્માણ
એવું કહેવામાં આવ્યું કે અંગ્રેજોએ કાનપુરને ઉન્નાવ-લખનૌ સાથે જોડવા માટે 1875માં આ ગંગા પુલનું નિર્માણ કરાવ્યું હતું. બાંધકામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એન્જિનિયરોએ કરાવ્યું હતું. તેને બનાવવામાં 7 વર્ષ અને 4 મહિનાનો સમય લાગ્યો હતો. મૈસ્કર ઘાટ પર પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. અંગ્રેજોએ ટ્રાફિક માટે આ પુલનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર બાદ 1910માં આ પુલની નજીક ટ્રેનોના સંચાલન માટે એક રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પુલ પરથી દરરોજ 22 હજાર ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર સહિત 1.25 લાખ લોકો પસાર થતા હતા. 12 મીટર પહોળા અને 1.38 કિલોમીટર લાંબા પુલ પર લોકોની અવરજવર જોવા મળતી હતી.