ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયોજવામાં આવેલ કેમ્પમાં 100 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાંથી 20 જેટલા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 2 દર્દીઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. ત્યારે હાલ 2 મૃતકોને અસારવા સિવિલ હોસ્પિટલમાં PM માટે લઈ જવાશે. જેમાં વીડિઓગ્રાફીથી પેનલ ડોક્ટર દ્વારા PM કરવામાં આવશે. ઉપરાંત ઘટનાને લઇ વસ્ત્રાપુર પોલીસ AD નોંધીને તપાસ આદરી છે. ત્યારે Pm રિપોર્ટ અને એક્સપર્ટના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે. જો હોસ્પિટલના ડોકટરની બેદરકારી ખુલશે તો ગુનો નોંધવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે રૂપિયા કમાવવા કડી તાલુકાના 4 ગામમાં કેમ્પ કર્યા હતા. જેમાં કડીના કણજરી, વાધરોડા, કરસનપુરા, વિનારકપુરા (હનમનીયા) ગામોમાં કેમ્પ કર્યા હતા. હાલ VTVની ટીમ કડી તાલુકાના કણજરી ગામ ખાતે પહોંચી હતી. કણજરી ગામમાં પણ ફ્રી નિદાન કેમ્પ કરીને સરકારી યોજનાના રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ત્યારે 3 મહિના પહેલા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં કેમ્પ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ગામમાંથી 20થી 25 લોકોએ કેમ્પમાં ચેકઅપ કરાવ્યું હતું. જેમાં PMJY કાર્ડ જે લોકો પાસે હતા તેવા 12 લોકોને બોલાવ્યા હતા.
રિપોર્ટ કરી તેમની એંજિયોપ્લાસ્ટી કરાઈ હતીઃ ચિરાગ રાજપૂત
સમગ્ર ઘટનાને લઇ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત મીડિયા સામે આવ્યા હતા. તેઓએ 10 નવેમ્બરે બોરીસણામાં કેમ્પ કર્યો હોવાની વાત કરી હતી. અને લૂલા બચાવમાં કહ્યું અનેક લોકોને કેમ્પના લાભ આપ્યા છે. તેઓએ જણાવ્યું હતુ કે 20 લોકો સ્વેચ્છાએ સારવાર માટે આવ્યા હતા. રિપોર્ટ કરી તેમની એંજિયોપ્લાસ્ટી કરાઈ હતી.
આ ઉપરાંત ચિરાગ રાજપૂતે ડૉ.પ્રશાંત વજરાનીએ ઓપરેશન કર્યા હોવાની કબૂલાત કરી હતી. અને હાલ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેમ જણાવીને તપાસમાં સહકાર આપવાનું રટણ કર્યું હતુ. પરંતુ દુર્ઘટના ઉપર દુખ વ્યક્ત કરવાનું તો નામ જ નથી લેતા. ત્યારે આવા બેદરકાર તંત્રના રાજા પર લોકોનો ભારે માત્રામાં રોષ ભભૂકી ઉઠ્યો છે.